Saturday, December 7, 2019

માણસ ને પ્રાણીઓ

વાંચકમિત્રો, આજકાલ તમે સમાચાર સાંભળતો હશો કે સિંહ,દિપડોકે વાઘ જેવા વન્યપ્રાણીઓ માનવવસ્તી તરફ વળ્યા છે. કારણ ખોરાકની શોધમાં. બાકી એને માણસ જોડે કોઇ વેર નથી. આજસુધી એ પોતાની સરહદમાં રહીને હરણા,સાબર કે સસલા જેવા નાના પ્રાણીઓને શિકાર કરીએ પોતાની દુનિયામાં મસ્ત હતા.પણ આજકાલ એમના રક્ષક બનવાનુ માણસજાતને જાણે 'ભુત'વળગ્યું છે! એમા ય પાછું પ્રગતિશીલ દેશો જે કરે એ આપણે કરવું પોસાય કે નપોસાય.અરે,ભલા માણસ હજુ દેશને કરોડો નાગરીકોને બે તો શું એક ટંકના ય ફાંફા છે ને તમારે જંગલી જાનવરને નીભાવવા છે! આપણી પાસે એને નીભાવવાના સાધનો છે ખરા? પુરતા તો નથી જ. એટલે લોકો સિંહ કે વાઘના દર્શન કરવા જાય એને બદલે એજ તમને ઘરઆંગણે દર્શન આપવા મજબુર થયા છે. આ તો છાણે ચડાવીને વિંછી આણ્યો એવી વાત થઇ.એમા પણ ભોગ તો ગરીબ ને મજબુર ને મહેનતકશ લોકોનો જ લેવાય છે. ખેતરમાં કામ કરતા ખેડુતો, ખેતમજુરો વગેરે. આમ પણ કહેવાય છે ને કે 'ભવાની ભોગ ન માગે વાઘ કે સિંહનો. એ તો માગે કુકડા,મરઘા,ને બકરાનો' આજે આપણે entry' ખુલ્લી રાખી છે ને exit'બંધ કરીછે તો વસ્તી કયા જઇને અટકશે? હવે એને રોટી,કપડા ને મકાન પાડવા પાડવાના સાધનો? તો જંગલો સાફ કરો,ખેતી માટે.તો આ રીતે જંગલોનો ભોગ લેવાય. રહેઠાણ માટે લાકડાની જરુર પડે તો જંગલો કાપો. નવા વૃક્ષ ઉછેરવાની સુઝ ને વૃતિ નથી. આની અસર વન્યપ્રાણી પર થવાની જ. હવે એને બચાવવા માટે અભયારણ્ય બનાવો. પણ એના શિકાર કે નિર્વાહ માટેના શાકાહારી પશું નથી તો એ હિંસકપ્રાણી જાય ક્યા? એને બહારથી ખાવાનું પુરુ પાડી ખરેખર તો પરાવલંબી બનાવી દીધા છે. હવે એની કુદરતી શિકાર કરવાની ક્ષમતા બુઠી થઇ ગઇ ને હવે એ પાળેલા કુતરા જેવા બની ગયા. 'ગાય મારીને કુતરા ઘરવવા' જેવો ઘાટ થયો.આ સિવાય આજે આ વન્ય પ્રાણીઓને પોતાના લાભ માટે માણસ વાપરે છે.રેશમના કીડા રેશમી વસ્ત્રો માટે,ફરના કોટ માટે ફરવાળા પ્રાણીઓ હણાય. પાકીટ ને એવા કોટ માટે મગરનો શિકાર થાય. હાથીદાંતમાટે હાથીનો ભોગ લેવાય. વાઘનખ માટે વાઘનો શિકાર થાય.કયારેક શોખ કે પોતાની મર્દાનગી સાબિત કરવા રાજાઓને અમીરો આવા વન્યપ્રાણીઓ ભોગ લેતા. તો માંસાહારી લોકો ખોરાક માટે શિકાર કરે. માત્ર જંગલ જ નહિ પણ નદીનાળા ને દરીયાને ય આપણે લપેટમાં લઇ લીધા છે. આજે સમુદ્રોમાં હજારો ટન કચરો ઠાલવાય છે ને જે પ્રદુષણ ફેલાય છે એમાં અલાસ્કાથી માંડીઅરબી સમુદ્ર સુધી જળચરસુષ્ટિ જોખમમાં છે.માછલીઓના પેટમાંથી પ્લાસ્ટીક મળે છે જે એના મોતનું કારણ હોય છે. હવે એતો આવી વસ્તું વાપરતા નથી!જોવાની વાત તો એ કે આ જ પ્લાસ્ટીક ફરી ફરીને માણસના ભાણામાં આવે છે.'પાણી ગમે ત્યા ઢોળો,રેલો પગ નીચે જ આવવાનો' કહેવત ખોટી તો નથી જ.

Friday, November 22, 2019

પ્રાણીઓ ને પંખી આપણા જીવનમાં

> વાંચકમિત્રો,તમને પણ કદાચ મારી જેમ કયારેક વિચાર આવતો હશે કે આ બદલાતા પર્યાવરણમાં આપણે આપણી આસપાસની જીવસૃષ્ટિને કેટલી બદલી નાખી છૈ. કુદરત ના સંચાલનમાં કેટલાય ફેરફાર કર્યા છે જે એક વખત આપણો આધાર હતા એવા પ્રાણીઓ ને વનસ્પતિ,જંગલો,નદીઓ આપણા જીવનમાંથી દુર સરતા જાય છે.એની અસર હવામાન ને આપણી તંદુરસ્તી પર પણ પડે છે. તો આજે આપણે આપણા આધારરુપ એવા પશુપંખીની મુલાકાત લઇએ. આપણા ધર્મમાં ચોર્યાસીલાખ યોનીમાં જીવ ફરે પછી માનવઅવતાર મળે. વિજ્ઞાન પણ સાબિત કરે છે કે આપણે અમીબા જેવા એકકોષી જીવમાંથી આવા જટીલ માનવદેહને પામ્યા છીએ.આપણા શાસ્ત્રોમાં ભગવાનના નવ અવતારોમાં કુર્મ,વરાહ,નૃસિંહ એવા માનવેતર અવતાર પછી રામ ને કૃષ્ણાવતાર આવે છે. આ અવાતરમાં પણ ભગવાન પ્રાણીઓની નજીક છે.જેમકે એક પક્ષીની ચાંચમાંથી ખીર પડે ને રાણીઓ પ્રસાદી તરીકે થાય ને રાજકુમારોનો જન્મ થાય.વનવાસમાં સીતાહરણમાં સુર્વણમૃગ ભાગ ભજવે ને સીતાને બચાવવાની કોશિષ કરનાર પક્ષી જટાયુ. તો એની ભાલ મેળવનાર હનુમાન વાનર ને વાનરસેના જ લંકા સર કરવામાં મદદરુપ બને. તો કૃષ્ણનો ગાયો તરફનો પ્રેમ. આપણી પૃથ્વી શેષનાગના શિર કે કાચબાની પીઠ પર ટકેલી છે. આપણા વિષ્ણૂભગવાન પૃથ્વીનો સંકેલો કરે ત્યારે શેષનાગની શય્યા પર આરામ કરે.એ સમયમાં જેટવિમાન કે મોટર નહિ હોય એટલે બધા દેવોએ પોતાના વાહન તરીકે કોઇ ને કોઇ પ્રાણી પસંદ કરેલા છે. વિષ્ણુનું ગરુડ,બહ્માનો હંસ, શિવનો નંદી ને પાછો સાપનો શણગાર, ઇન્દ્રનો એરાવત, રામાપીરનો ઘોડો ને દેવીઓમાં સરસ્વતીનો મોર,અંબામાનો વાઘ, બહુચરાજીનો કુકડો વગેરે. આ સિવાય પ્રકૃતિના દરેક સ્વરુપમાં આપણે દૈવત્વ જોયુ છે. નદીને માતા,સુર્યને દાદા,ચંદ્રને મામા,ધરતીને માતા કહી છે. આકાશના ગ્રહ ને નક્ષત્રોમાં પણ પ્રાણીઓની કલ્પના કરી છે. જયાસુધી મશીનો નહોતા ત્યાસુધી આપણે કુદરત સાથે સંવાદિતતાથી જીવતા હતા. આપણી આશપાસની પ્રાણી સૃષ્ટિ એક પરિવાર જેવી નિકટતા ધરાવતી. સવારના ઘરઆંગણે કબુતરોના ટોળા ઉતરે.એને જુવારની ચણ નખાય. ગામમાં ચબુતરો હોય ત્યા પણ લોકો જુવાર નાખે.લોકો કીડીયારુ પુરે, નદીમાં માછલીઓને મમરા ખવડાવે. ગાયને ચારો નાખે. કુતરાને ચાનકી નાખે. જમતી વખતે પહેલા ગાયનો ને કુતરાનો ભાગ કાઢી પછી જ ખાવાનું શરુ કરે.ગાયને માતા માની અમુક તહેવારમાં પુજા થાય. સાથે કેટલાક પ્રાણી સાથે શકનઅપશુકન જોડાયેલા. જેમકે સારા કામ માટે જતી વખતે ગાય સામી મળે તો શુભ થાય,બિલાડી આડીં ઉતરે તો અપશુકન, કાગડો બોલે તો અતિથિના આગમનની જાણ, કાગડો પુર્વજોનું શ્રાધની ખીર ખાવા પણ હાજર થઇ જાય.કેટલાક પંખી રોજના મહેમાન. સાંજના સમયે મોર આવે,ચણે ને કળા કરીને મનોરંજન પણ કરે, બપોરના કોયલ ટહુકી જાય. ધુવડ રાતના રાજા, એ બોલે એ અપશુકન. તો ટીટોડીના ઇંડાની ગોઠવણ ચોમાસુ કેવું જશે?એનો આગોતરો ચિતાર આપે. એ સમયે શિયાળામાં હારબંધ કુંજપક્ષીઓને ઉડતા જોવા એ લહાવો હતો. જાણે શિસ્તબંધ સૈન્ય.વહેલી સવારે કુકડો બાંગ પુકારે.જાણે પ્રભાતનો છડીદાર. કામઢી કાબર ને લુચ્ચો કાગડો સહિયારી ખેતી કરે., બાળપણમાં સાંભળેલી વાર્તાઓ. ચકા ચકી સાથે મળીને ખીચડી પકાવે. સુખી દામ્મપત્યનું ચિત્ર. લુચ્ચુ શિયાળ કાગડાને ફુલાવીને પુરી પડાવી જાય. કબુતર તો એ સમયમાં સંદેશવાહક તરીકે કામ કરતા.આ કહાનીઓ પ્રાણીઓની ઓથે માનવમનની નબળાઇ ને સારપનો પ્રચ્છન પરિચય કરાવે. ફુલણશી દેડકો કે કાગડો,ચતુર કોયલ કાગડીને બનાવી જાય,ઉદ્યમી કીડીને તેતર છેતરે. આખરે તો આપણે આ બધા પ્રાણીજન્મમાંથી પસાર થયેલા છીએ એટલે જાણેઅજાણે પ્રાણીઓની ખુબીખામી આપણામાં આવવાની.એને અનુરુપ કહેવતો. બહાર ઢોલ પણ અંદર પોલ.એને માટે. કહેવત કે ભસ્યા કુતરા કરડે નહિને ગાંજ્યા મેહ વરસે નહિ. તો ગરજવાન માટે કહેવાય કે ગરજે ગધેડાને બાપ કહેવો પડે.આદત છોડવી મુશ્કેલ એને માટે કહેવાય કે કુતરાની પુંછડી વાકી ને વાકી.આવી તો અનેક કહેવતો. તો આપણા રાસગરબા ને લગ્નગીતો.જાન જતી હોય ને વેવાઇને મોર સાથે સંદેશો મોકલાય.સાંભળો.'મોર જાજે ઉગમણે દેશ,મોર જાજે આથમણે દેશ, વળતો જાજે રે વેવાઇઓને દેશ. તો રાતના વરઘોડો નીકળે.ઘોડીને સંબોધીને ગવાય'ઘોડી હાલે ચાલે ને ઘોડી ચમકે છે. ધોડી કરજે મારા વીરનું જતન રે દલાલી ઘોડી ચમકે છે. તો વિદાયનું ગીત. વિદાય લેતી દિકરી 'દાદા,અમે તો લીલાવનની ચરકલડી, આજે દાદાજીના દેશમાં,કાલે ઉડી જાશું પરદેશ જો. તો બોટાદકરે ગાયુ છે' દિકરી વ્યોમની વાદળી, વનપંખીણી જેવી વન પંખીણી જેવી .જોઇ ના જોઇ ને ઉડી જતી પરદેશ. તો પાંચાલીને વિદાય આપતા પિતા દ્રુપદ' બેટી ચલી પરાયેઘર, બન ચીડીયા રુપ. દિકરી રાજાની કે રંકની. ફરકપડતો નથી, તો વસમા સાસરીયામાં જીવતી વિરહી દિકરી લખી તો ના શકે પણ ઉડતા પંખી મારફત સંદેશો મોકલે. આમ પક્ષીઓને પ્રાણી આપણા જીવનમાં શ્ર્વાસોશ્ર્વાસની જેમ વણાયેલા હતા. સમય બદલાયો છે.માણસ મશીન સાથે જીવતો થઇ ગયો છે. આજના બાળકોને આકાશના તારા,મેધધનુષના રંગો, સુર્યોદય કે સુર્યાસ્તનું સૌંદર્ય,વરસાદ કે નદીના ઘૂઘવતા વહેણ પ્રકૃતિ કોઇ સૌંદર્ય સાથે નિસ્બત નથી. હવે ઘરઆંગણે કબુતર,ચકલા,કાબર, હોલા,મોર આવતા નથી.હવે તો ઘરને આંગણા જ નથી તો. એમને આશરો આપનાર વૃક્ષો નથી રહ્યા કે ઉડવા મુક્ત આકાશ નથી. ત્યા પણ વિમાન સાથે હરીફાઇ!હવે બાળકોને આવા પ્રાણીઓ પ્રાણીસંગ્રહાલયમાં જોવા મળશે કે બુકોમાં.

Sunday, November 10, 2019

નામને શું રડે?

વાંચકમિત્રો,તમે આ કવિતા સાંભળી હશે. કવિ કહે છે કે નામ પ્રમાણે ગુણ હોતા નથી. લક્ષ્મીચંદના ખિસ્સા ખાલી હોય. ભીખૂભાઇ ભીખ નથી માગતા પણ બંગલામાં રહે છે. ભોળાભાઇ આખી દુનીયાને શીશામાં ઉતારે. નામ એ આપણી વ્યકિગત દુન્યવી ઓળખ. આપણા પરિવાર તરફથી ભેટ. નામ પાડવાનો અધીકાર આજતક ફોઇનો ને એ પણ મફત નહિ. ઘણા પરિવારમાં નામ કરણ વિધિ ઉત્સવની જેમ ઉજવાય.નાંમ આપણને ગમે કે ન ગમે તો પણ એ જ આપણી ઓળખ. ઘણા લોકોને એક કરતા વધારે નામ હોય.એક કાયદેસર જે સરકારને ને સ્કુલને ચોપડે.બીજુ સગવડીયુ. નામને ટુંકાવીને નજીકના ને પરિવારના લોકો બોલાવે.જેને તખલ્લુસ કે ઉપનામ કહેવાય. તો કયારેક એવી વિશેષતા કે ખોડખાપણને લઇને હુલામણુ નામ બહારના લોકો પાડે. એ મોટે ભાગે વ્યકિતને ચીડવવા કે સતાવવા વપરાય.જેમ વ્યકિત ચીડાય એમ બીજા લોકોને વધારે મજા આવે.કયારેક તો સાચુ નામ લગભગ વિસરાઇ જાય એટલી હદે ઉપનામ પ્રચલિત થઇ જાય. એટલે જ ભગવાનના હજાર નામ છે ને.ઘણા પરિવારમાં નવી વહુનું નામ બદલવાનો રિવાજ હોય. કદાચ પિયરની બધી યાદ ભુલાવી દેવા જ સ્તો નામની સાથે બીજી એક વાત કે જમાના પ્રમાણે નામની ફેશન બદલાય. અજાણી વ્યકિતનું નામ સાંભળી એની વય નક્કી કરી શકો. શાંતા,કાંતા,સવિતા,કે વિમળા સાંઠને વટાવી ગયા હોય.જે તે સમયગાળામાં જે નામ પ્રચલિત હોય તેના પરથી વય ખબર પડે. નામ સાંભળતા વ્યકિતનું ચિત્ર મનમાં ઉપસે. હરિભાઇ કહો તો કોઇ ધોતિયા ધારી વયસ્ક વ્યકિતનું ચિત્ર નજરમાં આવે લે કદાવ ખોટૂ પણ પડે.એ સિવાય એક સમયમાં લોકોના નામ એના વ્યવસાય ને જાતિ પરથી નક્કી થતા. જેમકે ખેડુત એટલે શામજી,કાનજી,નાનજી,વાલજી.તો જે નામની પાછળ સિંહ,વાળા,બાપુ હોય તે વગર પુછ્યે માની લેવાય.લાલ,ચંદ,રાય એ બધા મહાજનો ને ગિરધર, દયારામ.જટાશંકર,પિતાંબર એટલે ભુદેવ.તો કચરો,ધુળો,પુંજો એ શુદ્ર ભલે સાધુસંતો કે વિચારકો કહેતા હોય કે નામ અસાર છે. પણ ખરી વાત તો એ છે કે નામ સાથે માણસનું સ્વમાન કે અહમ જોડાયેલો હોય છે.માણસ હંમેશા પોતાનું નામ રોશન કરવા મથતો હોય છે. માબાપ સંતાનો પોતાનું નામ ઉજાળે એવું ઇચ્છે. જો સંતાન કપાતર પાકે તો નામ બોળ્યુ કહેવાય. જુઓ.સંસારને અસાર માનનારા ને બધી મોહમાયાના ત્યાગની વાતો કરનારા પણ નામનો મોહ તજી શકતા નથી. એટલે તો વૈરાગ્ય ધારણ કરનારા પોતાને સંતશિરોમણિ,મહામંડલેસ્વર, ને એવીન કંઇક પદવી ધારણ કરે છે. બધા જ ધર્મોમાં કાંઇક આવી જ પ્રથા છે.સામાન્ય માણસ દાનપુન્ય કરે તો પોતાના નામની તક્તી મુકાવે. રાજામહારાજા મહેલ ને મકબરા બનાવે. જે નામ એ જીવતા સાંભળવાના નથી ને મરણ પછી તો સાંભળવા આવતા હશે કે કેમ એ આપણે જાણતા નથી તો પણ માણસનો પરિવાર એમનું નામ અમર રાખવા આવું જાહેર દાન કરતા હોય છે. આજે પણ ભુતકાળના વિલિન થઇ ગયેલી એવી વિરલ વિભુતિઓને યાદ કરીએ છીએ જે ભૌતિક કે સ્થુળ શરીરરુપે હાજર નથી પણ એના માનવજાતના ઉત્કર્ષના ફાળા માટે સ્મૃતિરુપે જીવિત છે. ગાંધીજી,સરદાર, માર્ટીન લ્યુથર કિંગ કે મહાન વૈજ્ઞાનિકો ને વિચારકો. એજ પ્રમાણે માનવજાત માટે વિનાશકારી એવા પણ પાત્રો છે.જેમકે હિટલર નેબીજા અનેક આસુરી તત્વો કે જે નકારત્મક કે દુઃખદ યાદ તરીકે પણ માનવસ્મૃતિમાં રહે છે.કોઇપણ વ્યકિત જીવતા દુનિયાની પરવા ના કરી હોય એ પણ મૃત્યુ પછી આદર ઇચ્છે છે. એટલે તો એક કવિએ ગાયુ છે કે'નામ ન રહંત,નાણા ન રહંત.કીર્તિ કેરા કોટડા પાડયા ન પડંત ઘણા

Thursday, October 17, 2019

પરિશ્રમ

વાંચક મિત્રો, તમે પણ કયારેક એવુ જોયુ હશે કે જીવમાત્ર  પ્રકૃતિથી આળસું છે. શ્રમ નિવારવાનો એ બને ત્યા સુધી પ્રયત્ન કરે છે. એ પણ કદાચ સજીવના જીનમાં હશે કે એક વાર કોઇ ચીજ સહેલાઇથી મળવા માંડે પછી એ વસ્તુ કે એ સગવડની ગેરહાજરીમાં મુળભુત પરિસ્થિતમાં પાછુ ફરવું બહુ મુશ્કેલ લાગે છે. જુઓ વન્યપ્રાણીકે શિકારી પ્રાણીઓને એમની કુદરતી સ્થિતિમાથી બહાર લાવીને અભ્યારણમાં કે પાલતુ કે સરકસ જેવી સભ્ય સમાજમાં લાવવામાં આવે ને ખોરાક પુરો પાડવામાં આવે કે જે એ પોતાના પરિશ્રમથી મેળવતો હોય એ જ પ્રાણીને સંજોગવશાત પાછુ એની મુળભુત સ્થિતિમાં રહેવાનું થાય તો એને બહુ મુશ્કેલ પડે છે. એ જ પ્રમાણે પશુપંખી પાળેલા ને પાંજરામાં હોય કે જળાશયમાં કોઇ એને નિયમીત ખોરાક આપતુ હોય તો એ બહુ જલ્દીથી પોતાની ખોરાક મેળવવાની તરકીબ ભુલી જાય છે. એ જ પ્રમાણે માણસ પણ એક વાર ચાલવાની કે અમુક શ્રમ કરવાની આદત છોડી દે તો ફરીથી એ જ કામ કરવાનું એને માટે અશક્ય તો નહિ પણ મુશ્કેલ તો બને છે.
  તો એક ઓર વાત કે સમાજનું શ્રમ તરફનું વલણ. જયા જીવન જરુરિયાત સહેલાઇથી મળતી હોય ત્યા માણસ આરામપ્રિય બની જાય. પછી જો એ કામ ફરીથી કરવું પડે તો એના માટેના સહેલા રસ્તા શોધે. જેમકે એક વખત વાહન વસાવ્યા પછી કયારેક વાહન અટકે કે ગેસ ન પોસાય તો વધારે પૈસા માટે પૈસા કમાવાના બીજા કિમિયા શોધે. પણ ચાલવાનુ તો આકરુ લાગે. એ  જ પ્રમાણે જેને ઘરકામ માટે નોકરો પર આધાર રાખવાની ટેવ પડી જાય પછી સામાન્ય કામ પણ એનાથી નથી થતું. સામાજિક વલણમાં એવું કે અમુક સમાજમાં શ્રમ કે શ્રમિકને હલકા માનવામાં આવે. કામ તરફ સુગ. વેઠ જેવો શબ્દ વપરાય. આપણા દેશમાં મહેનત કરનાર હલકો ગણાય છે. જુઓ મહેનત કરનાર વિદ્યાર્થીને બોચીયો  ગણીને મજાક થાય. ઓફીસોમાં પ્રમાણિક ને મહેનતુ માણસને સન્માનને બદલે એના સાથી કર્મચારીઓ વેઠીયો કહીને હાંસી ઉડાવે. ખેડુતને રોંચા ને ખાગા જેવા નામથી ઠેકડી થાય. જો બીજા શ્રમજીવીઓને આવી જ નગણ્ય નજરથી જ જોવાય. એ પણ જુઓ કે પરિશ્રમ ટાળવા બુધ્ધિજીવી લોકો ને ખાસ તો યુરોપીયન પ્રજાના અમુક મહેનતુ લોકોએ નવી નવી શોધો કરીને શ્રમનું પ્રમાણ ઘટાડ્યું છે ને માણસની જીંદગી સરળ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. હા, એવા કામ કે જયા માણસને બેહદ શ્રમ પડતો હોય ત્યા મશીન આવકાર્ય છે. પણ એની ઘેલછા એ જ  તકલીફ પેદા કરે છે. ધારોકે જે કામ હાથથી કરતા કલાકો થાય એ તમે એક જ કલાકમાં કરી નાખો  સહેલાઇથી. પણ બાકી બચેલા સમયનો  સદઉપયોગ કરવાની ભાન નહોય તો  સરવાળે નુકશાન જ થવાનું.
  આપણી પરંપરા કે સામાજિક વલણ પ્રમાણે મહેનત ટાળવા અરે શારીરિક તો ઠીક પણ વિચારવાની ય તકલીફ વિના સહેલો રસ્તો કે કોઇ દેવીદેવતાના પગ પકડી લેવા. દેહદમન કરવું ને હઠાગ્રહ,તપ,યજ્ઞો, જપ વગેરેથી એમને ખુશ કરવા ને બસ એ પ્રસન્ન થઇને વરદાન આપે એટલી જ વાર!કેટલુ સહેલુ? એટલે જ આજે રોજ નવા દેવદેવીઓ ,બાપુઓ, બાબા,સંતો ને મૌલાઓનો રાફડો ફાટે છે. લોકોને કોઇ સમસ્યા માટે વિચારવાની તસ્દી પણ નથી લેવી!
પરિક્ષામાં પાસ થવાથી માંડી ને સંતાન માટે માનતા ને આવા બાબાના આશીષ!એટલે તો આપણા દેશમાં મકાનો કરતા મંદિરો વધારે છે. જન્મદાતા માતાનો ચમત્કાર ભુલાઇ ને નિર્જીવ પથ્થરમાં એને ચમત્કાર દેખાય. મા કોઇ ઘરડા ઘરમાં દિકરાનું મોં જોવા ઝંખે ને દિકરો બેજાન પથ્થરના ચરણોમાં આશીષ માટે આળોટે!     તો આ છે મહેનત તરફની આપણી સુગનું પરિણામ. છેલ્લે કહુ તો એટલે જ આપણે દેશ છોડીને પરદેશમાં આવવું પડે છે. આજે બીજા દેશોમાં આપણે જે મહેનત કરીએ છીએ એજ પ્રમાણે દેશમાં કરતા હોત તો વતન નાછોડવું પડ્યું હોત. આ તો પારકી મા કાન વીંધે એવું છે.

Monday, September 23, 2019

કોનો વાંક

મિત્રો, તમે પણ કાલે વિશ્ર્વભરના શહેરોમાં નવી પેઢીના યુવાનોની પર્યાવરણની જાગૃતિ માટેની માર્ચ જોઇ હશે, ખુશીની વાત છે.જાગૃતિ આનંદની વાત છે પણ એક વાત ખુંચી કે પર્યાવરણની આજે જે સમસ્યાઓ છે એને માટે જવાબદાર આગલી પેઢીને માનવામાં આવે. દોષનો ટોપલો ઘરડા માથે. એ કયાનો ન્યાય? ચાલો, શોધ કરવાવાળાએ તો જે તે સમયની જરુરિયાત પ્રમાણે શોધ કરી ને સમસ્યાનો ઉકેલ શોધ્યો. પણ વાપરવાવાળાનો વિવેક ક્યા?એની પણ જવાબદારી ખરી કે નહિ? ગરમીથી બચવા કે ઠંડીમાં રક્ષણ માટે હિટર ને એરકંડીશન શોધ કરનારાએ કરી. પણ તમે માત્ર શોખથી કે બિનજરુરી ઉપયોગ કરી વિજળીનો બગાડ કરો ને પછી વડીલોને ભાંડો એ તો પાડાને વાંકે પખાલીને ડામ! આજે બેડગલા ચાલવામાં ય જોર પડે. તમારા બાપા માઇલો પગે કાપતા.તમને આંખો ઉઘડે એ પહેલા આંગળીને ટેરવે આખી દુનિયાની પંચાત જાણવાનો ઉપાડો. સમય જાણવો હોય કે હવામાન. બારી ખોલવાની ય તકલીફ નહિ લેવાની. કોઇને મળવા માટે બે ડગલા ચાલવાની તકલીફ નહિ લેવાની. બધુ જ તમને હથેળી ને મુઠીમાં જોઇએ તો પછી એની કિંમત ચુકવવી જ પડે ને. આ દુનિયામાં સર્જનહારે કાંય મફત નથી રાખ્યું. આગલી પેઢી જે કરકસરથી જીવતી હતી એ રીતે તમે પણ એક દિવસ તો જીવી બતાવો પછી આગલી પેઢીને આ પર્યાવરણની બેહાલી માટે જવાબદાર ગણજો.

Thursday, September 5, 2019

વિસરાતી જતી વિરાસતો

વાંચક મિત્રો, આપણે આપણા સમગ્ર જીવનકાળમાં આપણા પોતાના શારીરિક ફેરફાર સાથે વૈચારીક ફેરફાર સાથે સામાજીક બદલાવ પેઢી દર પેઢી અનુભવીએ છીએ. ગમે ક નાગમે પણ સમય કોઇને માટે રોકાતો નથી. એ જ પ્રમાણે આપણે જેનાથી ટેવાઇ ગયા હોઇએ એવી ઘણી જાહેર સેવા આપતી સંસ્થાઓ સમય બદલતા નવા રંગરુપે પેશ થાય છે. એમાની એક તે પુસ્તકાલય. પ્રાચીન સમયમાં વિદ્યાપીઠોમાં આવા ગ્રંથભંડારો હતા જે ત્યા ભણતા છાત્રો લાભ લેતા. પછી આબાલવૃધ્ધો માટે જાગૃત ને કેળવણીના ઉપાસક શાસકોએ જાહેરજનતા માટે લાઇબ્રરીઓ ઉભી કરી.એ સમયે આ લાઇબ્રેરી જ જ્ઞાન,માહીતી મેળવવાનું એકમાત્ર સ્થળ હતું. આજે આ ગ્રંથભંડાર વિસરાતા જમાનાની એક યાદમાત્ર થતા જાય છે. અમુલ્ય પુસ્તકો ઉધઇના હવાલે
છે તો એના મકાનો ઉજ્જડ ને અવાવરુ બની ગયા છે. એના એનેક કારણોમાના થોડા આજે તપાસીએ. કોઇ પણ પરિવર્તન રાતોરાત નથી આવતું ને એટલે એને રોકી શકાતું નથી.પછી એ સારુ હોય કે ખરાબ.
 આજે માહીતીનું માધ્યમ બદલાઇ ગયું છે. એક સમયે માહીતી ને જ્ઞાનનું સ્થળ ગુરુના આશ્રમો ને ગુરુઓ હતા. ઉપદેશ કર્ણોપકર્ણ હતો. વિદ્યાર્થીઓ કે છાત્રો ગુરુના આશ્રમમાં વિદ્યાસમાપ્તિ  સુધી ત્યા જ રહેતા.  પછીના સમયમાં છપાયેલી બુકો આવી. સમાજના થોડા શિક્ષિત ને શાણા માણસોને બાળકોને શિક્ષા આપવા માટે નીમ્યા. એ રીતે લોકલ ધોરણે નિશાળ શરુ થઇ. પાઠય પુસ્તકો ને અભ્યાક ક્રમ નક્કી થયો. શરુઆતમાં તો વિદ્યાભ્યાસ પર અધિકાર સમાજના એક માત્ર વર્ગ પાસે જ હતો. વિપ્રો એટલે કે ભુદેવો. સમાજના અમુક વર્ગને તો દેવોની ભાષા એટલે કે સંસ્કૃત ભણવાનો ઠીક પણ બોલવાનો ય અધિકાર નહોતો. લાંબા સમય સુધી ભુદેવ સિવાયના બાકીના ત્રણ વર્ણ માત્ર એમનું ભરણપોષણ ને સાથે ભુપતિઓના શોખવિલાસ પોષવા કામ કરતા રહ્યા. પરિણામે શિક્ષણ બાબતે સમાજનો મોટો વર્ગ અક્ષરજ્ઞાન ને માહીતીથી વંચિત રહ્યો ને એની જીજ્ઞાસા પણ કરમાઇ ગઇ. 
એ જ પ્રમાણે બ્રિટીશ શાસનમાં શિક્ષણ આવ્યું પણ માત્ર અંગ્રેજોએ પોતાના વહીવટમાં મદદરુપ થાય એટલુ જ> કારકુનો પેદાથયા. જયારે આપણા રાજા મહારાજાને તો પોતાના વૈભવવિલાસ ને પોતાની સમૃધ્ધિના પ્રદર્શનના પ્રતિક એવા મહેલો ને કિલ્લા બનાવવા સિવાય પ્રજાના હિતની કોઇ પડી નહોતી કે નહોતી એવી બુધ્ધિ. અપવાદ રુપ ગાયકવાડ કે ગોંડલનરેશ એવા ગણ્યાગાઠયા રાજવીઓ  હતા જેણે પ્રજાને શિક્ષણ ને કેળવણી આપવા પ્રયત્ન કર્યા.     હવે આઝાદીપછીના સમયમાં શિક્ષણ તો આવ્યુ પણ એમાં વૈચારીક કેળવણી કે જ્ઞાનને બદલે માત્રમાહીતીનો રાફડો ફાટ્યો.  કારણ હોશિયારીનું માપદંડ માર્ક. જેટલા વધારે માર્ક આવે એ પ્રમાણે ભણનારની લાયકાત મપાય. એના આધારે આગળનું શિક્ષણ  ને એમા પ્ર વેશ મળે.અંતિમ ધ્યેય નોકરી. હવે ઉતમ માર્ક મેળવવા માટે જ્ઞાનની જગ્યાએ માહીતી ને એ પણ તૈયાર. ગાઇડો,સ્યોર સજેશનો આખી બુકો વાંચવાની કે વિચારવાની તકલીફ જ નહિ લેવાની. બસ,પરિક્ષામાં જરુરનું હોય તે ગોખી મારવાનુ< એમાં ગેરરીતિ,ટયુશનમાં જાવ જરુરી મટિરિયલ મળી જાય. કયારેક પેપર મળી જાય તો એવા લોકો પેપર તપાસનારને ય ફોડી નાખે! કયા તમે આડો હાથ દેવાના? આ રીતે શિક્ષણ લેવાનો મુળભુત હેતુ જ માર્યો ગયો.
  આજે કોમપ્યુટર પર ગુગલ ને એવી વેબસાઇટો છે જ્યા આંગળીને વેઢે જરુરી માહીતી ચપટીમાં મળી જાય છે તો લાઇબ્રેરીમાં જવાનું કે થોથા કોણ ઉથલાવવાનું.
પરિણામે આજે આવી વિશાળ જ્ઞાનના ભંડાર જેવી લાઇબ્રેરીઓ ખાલી પડી છે. એના મકાનો ખંડેર બનતા જાય છે. એના એક સમયના અમુલ્ય ગ્રંથો ઉધઇનો ખોરાગ બની ગયા છે. પુસ્તકપ્રેમીઓ આવું    જોઇને ખેદ અનુભવે છે. દરેક પેઢીને પોતાનું સત્ય હોય છે. બાકી તો સમયના વહેણને વાળી શકાતું નથી. ભુતકાળ ગમે તેટલો ભવ્ય હોય પણ વર્તમાનમાં એને જીવી શકાતો નથી. જ્ઞાન તો એજ રહેવાનું માત્ર એને  પ્રાપ્ત કરવાના રાહ અલગ હોય. 

Wednesday, July 24, 2019

ગાડરીયો પ્રવાહ

સુજ્ઞ મિત્રો, તમે આ શબ્દ 'ગાડરીયો પ્રવાહ' કયારેક સાંભળ્યો હશે. સામાન્ય રીતે ઘેટાનું ટોળુ આગળ જતા બીજા ઘેટાને અનુસરે. આ અનુકરણ એને કયા લઇ જશૈ? એનું શું પરિણામ કે અંત એનો વિચાર એ કરતું નથી. એ જ સંદર્ભમાં માનવપ્રાણી પણ આવી જાય કે જે વગરવિચાર્યે સમાજમાં થોડા બુધ્ધીજીવી કે પછી એમની નજરે જે શાણા લાગતા હોય એને વગરવિચાર્યે અનુકરણ કરે છે. આપણા ભારતીય સમાજની વાત કરીએ તો આપણે વિચારક કરતા અનુયાયી વધારે છીએ. અમુક પ્રસંગે તો આંધળુ અનુકરણ જ હોય છે. 'મહાજનો ગતા એન પંથા' બધા આમ જ કરે છે એજ બચાવ. આપણા વસ્ત્રો,ભોજન, લગ્નપ્રસંગોની ઉજવણી, આપણુ શિક્ષણ બધુ જ બધુ. આપણી આઝાદી સમયે બ્રિટીશ રાજ સામે લડવા ગાંધીજીએ અનશનનો રાહ અપનાવ્યો. કારણ કે આપણે સશત્રલડાઇમાં એમને પંહોચી ન શકત. એમની પાસે આધુનિક શસ્ત્રો ને સેના અલબત આપણા લોકો સામે આપણે વેરવિખેર.નાત જાત ને રજવાડામાં કણ કણમાં વિખરાયેલા. એટલે આ જ એક અહિંસક રસ્તો હતો. પછી સ્વરાજ આવ્યુ. આપણી જ સરકાર. પણ આપણી સરકાર સામે વિરોધ દર્શાવવાની પ્રણાલી તો એ જ રહી.આંદોલન કે એવી ચળવળમાં જાહેરમિલ્કતને બેફામ નુકશાનકરતી પ્રજાને આટલા સમય બાદ પણ એ નથી વિચાર આવતો કે આ આપણી જ મિલકત છે ને કાલે આપણા જ ખિસ્સામાંથી કરવેરા રુપે નુકશાન ભરપાઇ કરવા પૈસા જશે. આ તો જે ડાળ પર બેઠા એને કાપવા જેવું આ જ પ્રમાણે આપણે આપણી શકિત,રસરુચિ કે ઓકાત પ્રમાણે ભણવાને બદલે આપણી આજુબાજુ બીજા છોકરા શૂં ભણે છે? એની તુલના કરીને શિક્ષણ લઇએ છીએ. ખરેખર તો આપણી શૈક્ષણિક ઓકાત પ્રમાણે શિક્ષણ હોય તો સફળ થવાય. એટલે આ ગાડરીયા પ્રવાહમાં બધા વિદ્યાર્થી કાંતો ડોક્ટર થશૈ, એન્જીનીયર થશે, બહેનો પી.ટી સી કરીને શિક્ષક થશે કે નર્સ થશે. જે તે ક્ષેત્ર ઓવરફ્લો થઇ જાય ને ભણીને બહાર આવે ત્યારે નોકરીના ફાંફા.બેકારી. પાછી માન્યતા કેવી કે તમે જે ભણ્યા હો એ જ કામ કરાય. એમા પણ મહેનતમજુરી તો નહિ જ. ભલે ભુખે મરવું પડે. આપણા લગ્નપ્રસંગો જુઓ કે બધાને તો ગાલાવેડીંગ નજ પોસાય. પણ અમુકે આમ કર્યુ તો આપણે પણ એનાથી ચડીયાતું કરવું. પછી ભલે રહેવાના ને રોટલાના ફાંફા પડે. એ જ પ્રમાણે આપણા કપડા. આપણને કે આપણા શરીરને કે વાતાવરણને માફક હોય કે નહોય પણ ફેશન છે ભાઇ. બધાની સાથે ચાલવું પડે. નહિતર ફેંકાય જવાય. આ સિવાય આપણા ઘરમાં રાચરચીલુ કે આપણા ફોન,ટીવી જેવી વ્યકિગત ચીજોમાં પણ આપણી આસપાસનો લોકોના અભિપ્રાયની અસર પડે. આજના માહીતીપ્રસારણના યુગમાં કોઇ સારાનરસા સમાચાર ફેલાતા વાર નથી લાગતી. એ સમયે આપણી આ વગરવિચાર્યે માની લેવાની આદતને પરિણામે કોઇકને વ્યકિતગત ને કયારેક પ્રજાના અમુક સમુહને અકારણ શોષવું પડે છે. પછી જુઓ આપણા તહેવારો.ગણેશચતુર્થી હશે તો કોના ગણેશ મોટા એની હરીફાઇ. આજકાલ ભગવાનની પ્રતિમાને બદલે વિગત નેતાની પ્રતિમાઓ મુકવાની ચળ ઉપડી છૈ.એમાં પણ કોની પ્રતિમા કેટલી ઉંચી એની સ્પર્ધા.બાકી એના જીવનની ફિલસુફી કે ઉપદેશની એસીતેસી. આવું અંધશ્રધ્ધા ને ચમત્કારના કિસ્સામાં બને છે, કોઇ બાબતમાં ઉંડા ઉતરવાનું કે વિચારવાની તકલીફ જ નહિ લેવાની. કોઇ એમ તો વિચારે કે જે તમને મંત્રેલું પાણી આપીને કે એક ફુંક મારીને સાજા કરી દે એવા અલૌકીક મહાપુરુષ!ને એમની બિમારીમાં આસીયુમાં શું કામ દોડવું પડે? જે સાધુઓ નજરમાત્રથી શિલાઓ ખસેડી શકતા હોય કે પોતાના લિંગથી પાત્રમાંથી પાણી શોષી શકતા હોય એવા ચમત્કારીક બાબાઓ ખીણમાં ગબડેલી યાત્રાળુઓની બસો કેમ બહાર નથી કાઢથા કે નદીઓના પુરના પાણી શોષીને લોકોને કેમ નથી બચાવતા? કોઇ આવો સશંય કરે છૈ. તો એમ કહેશે કે સશંયાત્મા વિનશ્યતિ. જે પ્રજા વિચારીક કંગાળ હોય એનો ઉધ્ધાર કયાથી થાય. એટલે તો આપણે ઉપરથી કોક અવતાર લે એની રાહ જોઇએ છીએ.