Wednesday, October 31, 2018

લગ્ન ગીતો ભાગ ૨

ભાગ ૨    આ પ્રસંગે વ્યકિતની શારીરિક, માનસિક ને આર્થિક હાલત છતી થાય. સમાજમાં એના સમાયોજનની સફળતા સફળતા, સમજણ ને કુશળતાની કસોટી થાય. એસમયના સમાજમાં પ્રસંગમાં બહુધા આધાર આસપાસના લોકોનો જ રહેતો. જાન લઇને દિકરો પરણાવવા જવુ હોય તો ગાડા ને બળદની જરુર પડે, જમણવાર  હોય તો રસોઇના વાસણો, રસોયા, પીરસનારા આ બધુ  આસપાસના પરિચિતો ને પાડોશી ને સગાની જરુર પડે. જે લોકો બીજા લોકોના પ્રસંગે મદદ કરતા હોય, સ્વયસેવક તરીકે રાતદિવસ જોયા વિના ખડેપગે હાજર રહેતા હોય એવા લોકોને ત્યા આવા પ્રસંગે કામ કરવા લોકો સામેથી તૈયાર હોય. બીજી એ પણ વિશેષતા કે આ પ્રસંગે ગામના વસવાયા કે કારીગરોને પણ સાંકળી લેવામાં આવે. જેમ કે કુંભાર માટલી લાવે, લુહાર દિવડો લાવે, દરજી વરકન્યાના વાઘા ને કન્યાનું આણુ તૈયાર કરે, મોચી મોજડી ને ચંપલ બનાવે. એ જ પ્રમાણે બીજા કારીગરો પણ સામેલ થાય. ટુંકમાં નાના સમાજના દરેક સભ્ય યોગદાન કરે. એક વિધિ જુઓ. મંડપરોપણ પછી ચાક વધાવવા કુંભારને ધેર જવાનુ. ચાકડાની પુજા થાય. સમજીએ તો ચાકડાએ માણસની પ્રગતિમા બહુ મહત્વનો ભાગ ભજવ્યો છે. ગાડાનું પૈડુ, સાયકલ, સ્કુટર, મોટર કે વિમાનનું પૈડુ. ને કૃષ્ણનું સુદર્શન ચક્ર ને ગાંધીજીનું રેંટીયાનું પૈડુ.ચાકડો પણ ગોળ. એટલે માનવવિકાસના આધારરુપ ચાકની પુજા થાય. દિવડો એ માટીના કોડીયાના જમાનામાં અજવાસનું પ્રતિક. હવે આવા પ્રસંગે થોડા એવા  ટીકાખોર ને વિધ્ન સંતોષી ય હોવાના. ગમે એવી સારી વાતમાં ય દોષ દેખાવાના. એ સમયે આવા ટીકાખોરોની નિંદા ને નજરઅંદાઝ કરવી પડે. એની સાથે ઝધડો નકરાય. કોઇ પણ સમજદાર પોતાના શુભપ્રસંગે આટલા મહેમાનો સામે ઝધડો ન કરે. એટલે એક વિધિ જેને ઉકરડી દાટવી એમ કહેવાય. જે મંડપ રોપણ પછી બહેનો કરતા હોય.     હવે ગણેશસ્થાપના થાય ને આંગણામાં માણેકસ્તંભ રોપાય.ને મંગલ ગીત ગવાય
' સોનાની સળીએ માંડવો,રુપાની સળીએ માંડવો. પ્રથમ ગણેશજીને તેડાવો, બેનીને મીંઢોળ બંધાવો.'
 પછી પીઠી ચોળાય. વાનો વેચાય ફટાણા ગવાય ને વળતે દિવસે જાનની વાટ જોવાય.
આ બાજુ જાન પ્રસ્થાન થાય. વેવાઇને મોર મારફત સંદેશો મોકલાય
' મોર જાજે ઉગમણે દેશ,મોર જાજે આથમણે દેશ, વળતો જાજે રે વેવાઇને માંડવે હો રાજ'
તો કન્યા પક્ષે ય તડામાર તૈયારી હોય. જાન ગામના પાધરમાં આવેને કન્યા વરને નીરખવા મેડીએ ચડે 
' દાદાએ ઉંચા ગઢડા ચણાવ્યા,ગઢથી ઉંચા ગઢના કાંગરા.
ગઢડે ચડીએ બેનબાએ રાયવર નીરખ્યા'. ને પિતાને ફરિયાદ કરે
' દાદાજી અમે રે ગોરા ને રાયવર શામળા' ને પિતા સમજાવે
' દિકરી,એના ના કરીએ ઓરતા, દિકરી દુવારીકામાં રણછોડરાય શામળા'
  પછી તો વરના સામૈયા થાય ને ઝાલરટાણે વરધોડો નીકળે
' શુકન જોઇ ચડો રે વરરાજા, શુકને દાદા હોય રે વરરાજા' ને પેત્રોમસને અજવાળે માંડવે જાન આવે ને પોંખણા થાય. મંડપમાં વરરાજા બેસે પછી ગોરબાપા કન્યા પધરાવવાનું એલાન કરે. ત્યારે ત્રણ વખત 'સાવધાન' બોલે. મજાકમાં કહીએ તો વરરાજાને સાવધાન કરે કે આ છેલ્લી તક છે. સામે બેઠેલી છોકરીઓને જોઇ લેવાની. પછી તો જે માંડવા આવી રહી છૈ એજ તારી. બાકી બધી તારી સાળી. મામા માંડવામાં કન્યા પધરાવે ને સાળીઓની જીભ છૂટી થાય.
ને ફટાણા વર કહેતા બનેવીને ચીડવવા જ સ્તો
'કારે જમાઇ તું અણૌસરો,તારે અડદની અણસાર.
ઝિપટાનો ઝુડતલ, સાંઠીઓનો સુડતલ.હળનો ઢાંઢો હળવો હળવો હાલ'. તો બીજુ ગીત
 'કાળા કાળા રે તાવડીના તળીયા જેવા તમે ક્યાથી આવ્યા રે'વરપક્ષને માઠુ લાગે તો કન્યાના વડીલો વાત વાળી લે કે ભાઇ,આતો વાછટીયા ગાય છે. 'વાછટીયા એટલે કે વચેટીયા. આજુબાજુના બૈરા, બહેનપણીઓ, પાડોશીઓ. એને તો વર ખીજાય તો વધારે મજા પડે. બે પક્ષ વચ્ચે મનદુઃખ થાય એમા એને કેટલા ટકા?
  પછી કન્યાદાન પછી ચોરીઓ, ભાઇ જવતલ હોમે. અહી પણ કુટુંબના બધા સભ્યોને ભાગ લેવાનો ઉમંગ થાય એમ દરેકનો રોલ. ભાઇ જવતલ હોમે, મામા મંડપમાં કન્યા પધરાવે, માબાપ કન્યા દાન કરે, ભાભી પોંખણા કરે, નાની બેન સામૈયુ લે, ફૌઇ જડ વાસે, વરનો બનેવી અણવાર થાય. એ છેવટ વિદાયવેળા આવે ને આનંદના બલુનમાંથી હવા નીકળવા માંડે. હસતા ચહેરા ગંભીર થઇ જાય ને આંખોમાં આંસુ ઉભરાય.       આગળના અંકે




લગ્નપ્રથા ને લગ્નગીતો

આપણા હિંદુધર્મમાં વિવાહને એક  સંસ્કાર માનવામાં આવ્યો છે. સોળ સંસ્કાર પૈકીનો એક. એક સામાજિક કરાર. બન્ને પક્ષે જવાબદારી છે ને આખા સમાજની હાજરીમાં વરકન્યા એ મંજુર કરે છે. સુખી લગ્નજીવન વ્યકિત, પરિવાર ને સમાજની ઉન્નતિ માટે મહત્વનું છે. ભાવિ પેઢીના વ્યવસ્થિત ઉછેર પર જ વર્તમાન પેઢીના સુખશાંતિનો આધાર છે. સમાધાન ને સમાયોજન બન્ને પક્ષે જરુરી છે, કારણ કે માનવબાળકનો ઉછેર ને ઘડતરમાં લાંબો સમય લાગે છે. એટલે માબાપ વચ્ચે સંપ ને સમજણ હોય તો જ એ શક્ય બને. ઉપરાંત લગ્નથી માત્ર બે વ્યકિત જ નહિ પણ બે પરિવાર જોડાય છે. લગ્ન કરાર ભંગ થાય તો એક કરતા અનેક લોકોને અસર થાય છે. એટલે હિંદુધર્મ ને સમાજમાં છુટાછેડા નછુટકે થાય છે.      આ બધા કારણસર લગ્ન પરિવાર માટે બહુ મહત્વની ઘટના કહેવાય. માબાપ આ જવાબદારી પુરી કરીને જાણે માથા પરથી મણનો બોજ ઉતરી ગયો હોય એવી રાહત અનુભવે.  સાથે યુવક યુવતીના જીવનમાં પણ અસાધારણ પ્રસંગ. એક જ વખત આવું ધ્યાન ને માન મળે. એક દિવસનો રાજા  'વરરાજા"
       વિવાહ નક્કી થાય એમા ઘણા ક્રમ છે. જેમકે ચાંદલો, ચુંદડી, મંડપરોપણ, જાનપ્રસ્થાન ને આગમન, વરઘોડો, માયરા, કન્યાદાન, ચોરીઓ, ચાર ફેરા, જવતલ, ને છેલ્લે કન્યા વિદાય. આજે આપણે આ પ્રસંગે ગવાતા મંગલગીતો પર ઉડતી નજર નાખીએ. જે સમયમાં ડી. જે કે રેડીયો કે ટેપરેકોર્ડ નહોતા ત્યારની વાત છે.
      પ્રથમ તો વિવાહ નક્કી થાય. વરપક્ષ તરફથી કન્યાને ચાંદલો કરવા ને ચુંદડી ઓઢાડવા આવે. ચુંદડીનો અર્થ કે આ દિકરીને અમારા પરિવારમાં સમાવી લેવામાં આવે છે. જાહેરનામુ!    એની સાથે મંગળગીત ગવાય
  " નવે નગરથી સુંદર ચુંદડી આવી રે. લેરખડા મારે ચંપાબેનને કાજ. ઓઢોને બેની ચુંદડી'

પછી લગ્ન નક્કી થાય, સગાવહાલાને પાડોશીઓ ભેગાથાય. ગોર મહારાજ ના હાથે આ કરાર લખાય.ને એજ વરપક્ષને પહોચાડે. કંકુ છાંટીને કંકોતરી છપાય ને સગાવહાલા ને આમંત્રિતોને મોકલાવાય. એ વખતે ગવાય,
' કંકુ છાંટી કંકોતરી મોકલજો, એમા લખજો વરકન્યાનું નામ કે વિવાહ આવ્યા ઢુંકડા'
 પછી ઘરમાં રંગરોગાન થાય. શણગાર થાય. મોતીના તોરણ,ચાકળા, ટોડલીયા, ગણેશસ્થાપના, હીરના ચંદરવા, પરદા,  ઝુમ્મર.એના ભરેલા આભલાથી ઘર ઝળહળી ઉઠે. દિવાની જરુર જ નહિ.

એ સમયે આજના જેવી કેટરિંગ કે ડી. જે. કે મંડપસર્વીસ નહોતી. આસપાસના બહેનો ભેગા થાય. અનાજ સાફ કરે, વડી,પાપડ, પાપડી, વેફર તૈયાર કરે. એ સમયે પણ ગીતો તો ચાલુ જ હોય.  લગ્નનો દિવસ આવે ત્યા સુધી સવારસાંજ બહેનો પ્રભાતીયા ને સાંજે મંગલ ગીતો ગાય. એક નમુનો પ્રભાતીયાનો
 ,''ચાંદા શીળી રાત રે કાનકુંવર જનમીયા, કાનડદેવ જનમીયા ત્યારે વાસુદેવને ઘર દિવો રે'
'સુભદ્રાબેનના વીરા સદા રહેજો વહારે રે'                        આગલા અંકે